Friday 27 February 2015

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પરંપરા અને મૂલ્યની સાથે જોડાયેલા વિવિધ તથ્યો : સમિત્પાણિ


‘સમિત્પાણિ’ શ્રી બળવંતભાઈ જાનીના વિવેચન અને મધ્યકાલીન સાહિત્ય સંશોધનક્ષેત્રના પરિપાકરૂપે મળેલ ગ્રંથ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પરમ્પરા અને મૂલ્યની સાથે જોડાયેલા વિવિધ તત્ત્વો અને તથ્યોનું આ સંગ્રહમાં તેમને સ્વાધ્યાયરૂપી વિદ્યાસંગીભાવથી સંકલન કર્યું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કર્તા વિશે, પ્રવાહદર્શન વિશે કે સંપાદન-વિવેચન ક્ષેત્રે, કૃતિલક્ષી અઢાર લેખોને ગ્રંથસ્થ કરી મૂક્યા છે.
‘ભરતેશ્વર બાહુબલી રાસ: પુરોગામીઓના સ્વાધ્યાયની સમીક્ષા’ લેખમાં ગુજરાતી-હિન્દીમાં મળીને ‘ભરતેશ્વર બાહુબલી રાસ’ વિષયક જે ત્રણ સંપાદનો ઉપલબ્ધ થાય છે તેના વિશેની છણાવટ કરીને, અભ્યાસ કરીને તેના ગુણ અને ખામીઓને, અર્થઘટનમાં વર્તાતા ભેદને તુલનાત્મક રીતે મૂકી આપે છે, જેમાં કે.કા.શાસ્ત્રી, ડૉ. ભારતી વૈદ્ય અને હરિવલ્લભ ભાયાણીના પાઠભેદોની પ્રમાણભૂતતા વિષયક ચર્ચા અહીં કરી છે.
‘વસંતવિલાસ’માં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી તથા અજ્ઞાત કવિ કૃત આ ફાગુકાવ્યના કેટલાંક અનભિજ્ઞ પાસાઓ તરફ બળવંતભાઈ ધ્યાન દોરે છે. એ સમયના ભક્તિયુગની લાક્ષણિકતાઓથી અલાયદું-વિશિષ્ટ સ્ટ્રક્ચર ધરાવતું આ ફાગુકાવ્યની કડીએ કડીએ જે જીવંતતા અને ચિત્તની દુર્લભ અનુભૂતિ અનુભવાય છે તેના અર્થઘટનના પ્રશ્નોની અહીં સદ્રષ્ટાંત ચર્ચા કરી છે.
‘વસંતવિલાસ’માં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી તથા અજ્ઞાત કવિ કૃત આ ફાગુકાવ્યના કેટલાંક અનભિજ્ઞ પાસાઓ તરફ ડો. બળવંતભાઈ ધ્યાન દોરે છે. એ સમયના ભક્તિયુગની લાક્ષણિકતાઓથી અલાયદું – વિશિષ્ટ સ્ટ્રક્ચર ધરાવતી આ ફાગુ રચનાની કડીએ કડીએ જે જીવંતતા અને ચિત્તની અનુભૂતિને સ્થાન મળ્યું છે તેના અર્થઘટનના પ્રશ્નોની અહીં સદ્રષ્ટાંત ચર્ચા થઇ છે.
મધ્યકાલીન રામ ભક્તિના કાવ્યો રચનારા તરીકે ખ્યાતી મેળવનાર ભાલણના જીવનની ટૂંકી છતાં ક્રમબદ્ધ અને સસંદર્ભ માહિતી ‘ભાલણ’ પ્રતિમા: જીવન, કવન અને સર્જકતાના સંદર્ભમાં’ લેખમાં પ્રસ્તુત છે. ભાલણની વિવિધ સીમાચિન્હોની ઉચિત પરિપેક્ષ્યમાં થયેલ નિરૂપણ ચકાસે છે.
‘ભોજો ભગત અને તેની પદરચનાઓ’માં ડો. બળવંત જાની અંતિમ સ્તબકના કવિઓની સાથે અનુસંધાન પૂરું પાડી ભોજો ભગતની સર્જકતાને બિરદાવે છે. જ્ઞાન-ભક્તિધારાના લબ્ધપ્રતિષ્ઠિત સંત કવિશ્રીના જન્મથી લઇ તેમને ઘડનારા પરિબળો તેમજ તેમના સર્જન વિશેનો ઉપદેશમૂલક વાણી-પદોના ઝૂમખાં સહિત અભ્યાસ અહીં રજુ કરાયો છે.
‘મધ્યકાલીન ગુજરાતી કથામૂલક કૃતિઓ-સંપાદનો : ઉપલબ્ધિઓ અને ઉણપો, લેખમાં મધ્યકાલીન સાહિત્યક્ષેત્રે સમાન કથાનક ધરાવતી કૃતિઓના સંપાદનોને તુલનાત્મક રીતે જોવાનો અભિગમ છે. ક્યારેક ઘણા સંપાદનોને ઐતિહાસિક ચરિત્રોની દ્રષ્ટિએ, કેટલાંક લોકસાહિત્યના સંપાદનોને, વ્યાકરણના સંપાદનો કે પછી નરસિંહ પૂર્વેના કૃષ્ણ પરંપરાના પરિચય કરાવતા મહત્વના કે ઉલ્લેખનીય સંપાદનોના સમગ્ર કાર્યને પોતાની દ્રષ્ટિથી મૂલવવાનો વિવેચકનો પ્રયાસ અહીં પ્રસ્તુત છે. વ્યવસાયે વકીલ એવા સ્વધર્મ ઉપાસક અને સાહિત્યના ઊંડા અભ્યાસી એવા ‘મોહનલાલ દલીચંદ દેસાઈની’ મધ્યકાલીન સાહિત્ય-સંપાદન-સ્વાધ્યાય પદ્ધતિને વિસ્તારપૂર્વક અવલોકવાનો પણ તેમણે ઉપક્રમ કર્યો છે.
ભારતીય સાહિત્યમાં અત્યંત પ્રચલિત એવા અહલ્યાના પાત્રને વિવિધ પૌરાણિક અને મધ્યકાલીન ગ્રંથોના આધારે સમય અને તેના વિશેના કથાવસ્તુનો તુલનાત્મક અભ્યાસ ‘ભારતીય કથાસાહિત્યમાં અહલ્યા-કથાનકનાં રૂપાંતરો’ લેખમાં કર્યો છે.
‘મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કાવ્ય-વિવેચન : એક નોંધ’માં ઋગ્વેદકાળના ઈશ્વરવાદથી આરંભી, મધ્યયુગના રહસ્યવાદ સુધી અને તે પછી મધ્યકાલીન ભક્તીયુગમાં વહેતા જ્ઞાનથી લઈ અર્વાચીનયુગ સુધી જ્ઞાનમાર્ગી કાવ્યધારાને વિસ્તારી છે. આ સાથે ઝવેરચંદ મેઘાણી, મકરંદ દવે, અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ, ડો. સુભાષ દવે, ભુપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી, જયંતીલાલ આચાર્ય, ડો. રાજેન્દ્ર સિંહ રાયજાદા અને ડો. સુરેશ જોષીના આ ક્ષેત્રના વિશિષ્ટ વિગતો અને સમીક્ષાને ચકાસીને અનુબંધ જોડી આપ્યો છે.
ઈ.સ.૧૪૮૨ની આસપાસ જૈન સાધવી પદ્મશ્રીની રચેલ ‘ચારૂદત્તચરિત્ર’ નામની ૨૫૪ કડીની એક રચનાથી મધ્યકાલીન સ્ત્રી કવિઓની આરંભની ધારાને વિવેચક ઓગણીસમી સદીની સ્ત્રી કવિઓ સુધી વિસ્તારે છે. પુષ્ટિમાર્ગ વૈષ્ણવ-જૈન, જ્ઞાનમાર્ગી, શાક્તસંપ્રદાયમાં પોતાના ભક્તિગીતો દ્વારા અમૂલ્ય યોગદાન કરી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર સ્ત્રીકવિઓની પરમ્પરાનો ખૂબ સુંદર ઉલ્લેખ કર્યો છે.
‘કર્તૃત્વ નિયત કરવા સંદર્ભે કેટલાંક પ્રશ્નો: એક નોંધ’ લેખમાં લિખિત પરમ્પરાની રચનાઓમાંની કર્તૃત્વની સમસ્યાઓ ઉપરાંત મૌખિક પરમ્પરાની રચનાઓમાં તો કર્તૃત્વની અનેક સમસ્યાઓ જોવા મળે છે. કર્તૃત્વની સમસ્યાઓમાં એક અજ્ઞાત કર્તૃત્વવાળી રચના કે લોકગીતના રચયિતાનું નામ એક સરખા નામો અથવા નામમાં આંશિક સામ્ય, રચયિતાનું નામ મૂકવાની વિવિધ રીતિઓના જ્ઞાનના અભાવે ઊભી થતી સમસ્યાઓ, છદ્મ નામથી પ્રકાશિત રચનાઓ, તખલ્લુસ સંદર્ભે ઊભી થતી સમસ્યાઓ જેવી વિવિધ સમસ્યાઓને સદ્રષ્ટાંત સમજાવી છે.
‘મધ્યકાલીન બારમાસા કાવ્ય-પરમ્પરા અને દયારામ કૃત બારમાસી રચનાઓ’ વિષેના લેખમાં મધ્યકાલીન બારમાસાના સ્વરૂપને આલેખી મધ્યકાલીન ગુજરાતીમાં, જૈન બારમાસાથી આરંભાયેલ બારમાસા સાહિત્યમાં નર્મદ, દલપતરામ કે પછી આજના કવિશ્રી રાજેન્દ્ર શુક્લની રચેલ બારમાસા કાવ્યધારા સુધી પરમ્પરાને વિસ્તારી છે. આ અનુસંધાને મધ્યકાલીન બારમાસા કાવ્યપરમ્પરામાં કવિશ્રી દયારામને ચાર બારમાસી રચના રચી છે. જે ‘દયારામ રસસુધા’ અને ‘દયારામ રસધારા’માં પ્રકાશિત થયેલી છે તેનું ઉદાહરણ અને સમજુતી સહિત સસંદર્ભ માહિતી અને તેની સમૃદ્ધિને દર્શાવી છે.
‘સંતવાણીનું ઉપનિષદોની સાથે અનુસંધાન’ લેખમાં સસંદર્ભ, સંસ્કૃત, હિન્દી અને જૂની ગુજરાતી સાહિત્યના વિવિધ જ્ઞાન-ભજનવાણીના ઉદાહરણોનો સમન્વય કરી છણાવટ કરી છે. ઉપનિષદનું તત્વદર્શન જાણે કે આત્મિક વિકાસ કે ઉન્નતી માટે છે, જયારે ભજનવાણીનું તત્વદર્શન જનસામાન્યને ભ્રામક અવસ્થાઓમાંથી બહાર કાઢીને સદાચારી બનાવવા માટેની આરતનું પરિચાયક છે. આ વાતને અહીં બળવંતભાઈએ સુપેરે સમજાવી છે.
‘ભજનની વાતું બહુ ઝીણીયું
મોટા કુહાડા કાંય ન કાપે
લોઢા કાપે શીણીયું- શીણીયું
ભાઈ ભજનની વાત બહુ ઝીણીયું’ (પૃ.૯૭)
જૈન સર્જક શાલીભદ્રસૂરી રચિત ‘ભરતેશ્વર બાહુબલી રાસ’થી શરુ થયેલ જૈન સાહિત્ય ‘જૈન સર્જકોના પ્રદાનના શ્રધ્ધેય ચિત્ર’ લેખમાં બળવંતભાઈએ કુલ ગુજરાતી સાહિત્યના ૨૧૦૦ જેટલા મધ્યકાલીન સર્જકોમાંથી ૧૬૦૦ જેટલા જૈન સર્જકો અને ત્રણેક હજાર જેટલી મહત્વની કૃતિઓમાંથી બે-એક હજાર જેટલી જૈન રચનાઓનો ઉલ્લેખ તો કર્યો છે તે ઉપરાંત જૈનોએ ૯૦ જેટલા સ્વરૂપોમાં જે ખેડાણ કર્યું છે તેનો પણ અહીં સંશોધકે ઉલ્લેખ કર્યો છે. આવા સમૃદ્ધ જૈન સાહિત્યની આછી-પાતળી રૂપરેખા અહીં આપવામાં આવી છે. મધ્યકાલીન ગુજરાતી ભાષા-સાહિત્યના ઊંડા અભ્યાસી શ્રી જયંત કોઠારીનો એક Mono-graph લઘુ અભ્યાસલેખ ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન’નો અહીં અભ્યાસ કરવાનું બળવંતભાઈનું પ્રયોજન જણાય છે.
જૈન કથાસાહિત્યની પરમ્પરામાં અત્યંત રસપ્રદ એવા ‘આરામશોભા’ના કથાનકની સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી અને કંઠસ્થ પરમ્પરામાંથી પ્રાપ્ત થતી કૃતિઓની વિશદ સ્વાધ્યાયના સંશોધનમૂલક એવા સંપાદનગ્રંથ ‘આરામશોભા રાસમાળા’- સંપા. જયંત કોઠારી છે. જેમાં તેમણે આરામશોભા રાસમાળાની સમયાનુક્રમે મળતી છ રચનાની વિશદ સમીક્ષા કરી છે. જે ગ્રુપનું બળવંતભાઈએ ગહન વિવેચન આદર્યું. આજ રીતે ‘મધ્યકાલીન ગુજરાતી કથાસાહિત્યના મહત્વના વિષયોનો સંશોધનમૂલક સ્વાધ્યાય’ લેખમાં ડો.હસુ યાજ્ઞિક દ્વારા મળતા પુસ્તક ‘મધ્યકાલીન ગુજરાતી કથાસાહિત્ય’ પુસ્તક વિષે ચર્ચા કરી છે. આ પુસ્તકમાં મધ્યકાલીન ગુજરાતી કથાસાહિત્યનું ઐતિહાસિક અભિગમથી મૂલ્યાંકન કરતા લેખો, સ્વરૂપ વિષયક સૈધાંતિક પીઠિકા રચી આપતા લેખો, વિષય સામગ્રીને આધારે મૂલ્યાંકન કરતા લેખો એમ ચારેક પ્રકાર મળીને અગિયાર સંશોધનમૂલક સ્વાધ્યાયલેખોની વિશદ ચર્ચા સદ્રષ્ટાંત મૂકી આપી છે. વિષયને અનુરૂપ અન્ય કૃતિઓ તથા જે-તે કૃતિવિષયક વિવિધ સંદર્ભ-સામગ્રી એકત્ર કરીને તેને ક્રમશ: મુદ્દાસર અને ચોક્કસ પ્રકારની પદ્ધતિથી તેમણે પોતાનો પ્રતિભાવ રજુ કર્યો છે.
‘મીરાંના પદો’ લેખમાં ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી સંપાદિત ‘મીરાંના પદો’ની આવૃત્તિમાં જે પદો આલેખાયા છે તેમાંથી મીરાંના કર્તૃત્વ વિષે ઘણા શંકાસ્પદ પદોનો તુલનાત્મક અભ્યાસ સદ્રષ્ટાંત કરાયો છે. આ અભ્યાસ દ્વારા ‘રાધે તારા’ પદ મીરાંનું છે – તે વિશેની ગહન તપાસનો અહીં સાર બળવંતભાઈ સમજાવે છે.
‘જૈન ગૂર્જર કવિઓ’ના સંવર્ધિત ગ્રંથો : ગુજરાતનું ભારતને પ્રદાન’ લેખમાં ‘જૈન ગૂર્જર કવિઓ’- મધ્યકાલીન જૈન સર્જકો અને એમની કૃતિઓનો વિગતે પરિચય આપતા ગ્રંથોની સંવર્ધિત આવૃત્તિ વિશેની સમીક્ષા છે. આ ઉપરાંત તેમાં દર્શાવેલ કેટલાંક ઉમેરણ, શુદ્ધિ-વૃદ્ધિ પણ જયંત કોઠારી સંપાદિત આ ગ્રંથમાં સામેલ છે, જે અભ્યાસુઓ માટે ઉપયોગી ઘટના થઇ શકે.
આ સંગ્રહનો છેલ્લો લેખ ‘ત્રણ કાવ્યાસ્વાદો’માં નરસિંહનું પદ ‘શૃંગારની વ્યંગ મધુર પદરચના’, દયારામની બારમાસી ‘વહાલમજીના મહિના’ અને તેમની જ રચના ‘લોચન મનનો ઝગડો’ ત્રણ મધ્યકાલીન કાવ્યોનો રસપ્રદ આસ્વાદ છે.

આમ, ‘સમિત્પાણિ’ સમગ્ર પુસ્તક સંશોધન અને સ્વાધ્યાયની ઊંડી સમૃદ્ધિ ધરાવતું અને પોતાના શીર્ષકને સાર્થકતા અર્પતું ડો. બળવંત જાનીના વર્ષોના અધ્યયનના નીચોડ રૂપે આપણી સમક્ષ પ્રસ્તુત થાય છે. આ સાથે આ પુસ્તક નવા સંશોધનના અને ભાષાના અભ્યાસુ માટે સીમાસ્તંભરૂપ છે.  ડૉ. હેતલ કિરીટકુમાર ગાંધી

No comments:

Post a Comment