Wednesday 7 March 2018

નાટ્યપ્રયુક્તિના પરિપાકરૂપે મળેલું નાટક : ‘વિવેકાનંદ’


ગુજરાતી નાટ્યસાહિત્યને પોતાની કલમથી સમૃદ્ધ કરનાર નાટ્યકાર શ્રી ચિનુ મોદીએ ઐતિહાસિક, પૌરાણિક પાત્રોને લઈને ઘણા નાટકોની રચના કરી છે, આ ઉપરાંત ઘણા કલ્પિત નાટકોની પણ નાટ્યરચનાઓ તેમની પાસેથી મળે છે. ‘નાટક અને હું’માં શ્રી ચિનુ મોદીનું બયાન જ સાબિત કરે છે કે, તેમણે યુવાકાળથી જ જે નાટ્ય પ્રત્યેનો લગાવ હતો તે તેમના અંતિમ શ્વાસ સુધી બરકરાર રાખ્યો હતો. આ નાટ્યપ્રેમને આકંઠ સાબરમતીએ વેગ આપ્યો હતો.
તેમની નાટ્યયાત્રામાં તેમનું થોડું ઓછું પ્રસિદ્ધ ઐતિહાસિક નાટક ‘વિવેકાનંદ’ પણ સામેલ છે. આ નાટકમાં નાટક(રંગભૂમિ)માં પોતાની ભૂમિકારૂપી ફાળો આપતા દિગ્દર્શક અને નટ(મુખ્ય પાત્ર)ની ક્ષમતા, યોગ્યતા અને ભૂમિકાને બખૂબી સમજાવી છે. આ નાટકમાં રંગભૂમિ પર નાટક કેવી રીતે ભજવી શકાય તેની પ્રયુક્તિઓ, નાટક ભજવતા નટનો મનોસંઘર્ષ તથા ભજવાવતા દિગ્દર્શક જેવા લોકોના માનસિક વલણોની સાથે ભારતને મળેલા મહાત્મા સ્વામી વિવેકાનંદ જેવા અતુલ્ય વ્યક્તિત્વના ચોતરફના જીવન પાસાંઓનું સૂક્ષ્મ દૃષ્ટિએ અવલોકન કરવાના પ્રયોજન સાથે નાટકના મુખ્ય પાત્ર ભજવતા નટની લાયકાતના માપદંડને પણ નાટ્યપ્રયુક્તિના સાધન તરીકે સામલે કરી લીધું છે. આ નાટકના સર્જનમાં વપરાતી નાટ્યપ્રયુક્તિઓની ગૂંથણી આ સંશોધનપત્રનો વિષય છે.

ગુજરાતી સાહિત્યને નાટ્યના સાહિત્યપ્રકારની  સમૃદ્ધ કરનાર નાટ્યકાર ચિનુ મોદીએ નાટ્યલેખક તરીકે ઘણા પ્રયોગો કર્યા છે. તેમના નાટકોમાં વ્યક્તિચરિત્ર ઉપસાવતા નાટકોનો પણ સમાવેશ થાય છે; તેમાંનું જ એક નાટક તે વિવેકાનંદ.
            વિવેકાનંદનાટક બે અંકમાં વહેંચાયેલું છે. આ નાટકમાં સ્વામી વિવેકાનંદના સર્વવિદિત પ્રસંગો સાથે તેમના વ્યક્તિત્વના ચારિત્રાત્મક ગુણોને તેમણે પ્રેક્ષક સમક્ષ રજૂ કરવાનો ઉપક્રમ કર્યો છે. અંક એકની શરૂઆતમાં તો ઈન્ટર-વ્યૂ ચાલી રહ્યો છે. જિન્સના લાંબા ઝબ્ભો અને પગમાં ગાંધી ચંપલ પહેરેલો કિશોરકાન્ત દેસાઈ ટેબલની પાછળની ખુરશીમાં બેઠો છે.’[પૃ. 186] એટલે કે ઈન્ટર-વ્યૂ લઈ રહ્યો છે.
            ઈન્ટર-વ્યૂ માટે દિવ્યેશ નવીનચંદ્ર શેલત નામનો યુવક અંદર પ્રવેશે છે. જન્મતારીખ વતન જેવી પ્રાથમિક માહિતી પૂછ્યા બાદ જ કિશોરકાન્ત દેસાઈ તેનું પોતાની નિમા મલ્ટીમીડિયા સેન્ટરમાં સ્વાગત કરે છે. ત્યારબાદ કિશોરકાન્ત પોતાના આગળના વિવેકાનંદઉપરના પ્લે(નાટક)ની અને આ નાટક રંગભૂમિ પર સફળ થાય તો આર્ટ ફિલ્મ બનાવવાની યોજના દિવ્યેશ સમક્ષ મૂકે છે અને તરત જ વિવેકાનંદના નામથી તો પરિચિત છો? એવા પ્રશ્નના જવાબમાં દિવ્યેશ જી, એ દેવાનંદના કઝીન થાય, નહીં?’ આ સાંભળી કિશોરકાન્ત તેને ત્યાંથી જતા રહેવા કહે છે ને કહે છે કે, મેં તમારા શરીર સૌષ્ઠવને જોઈને - એ વિવેકાનંદને મેચ થતું જોઈને - તમને એ રોલ માટે બોલાવેલો. આઈ એમ ઈડિયટ....’[પૃ.187] આ કહી આગળના ઈન્ટર-વ્યૂ ચાલુ રાખે છે.
ત્યારબાદ આ રોલ માટે તંબાકુ ખાતો જુવાન પ્રવેશે છે, તેને તો કિશોરકાન્ત મારે, ખાંસતા, ગુટકા ખાનારા વિવેકાનંદ પ્રેક્ષકોને નથી માથે મારવાના[પૃ.187] એમ કહી કાઢી મૂકે છે. હવે ત્રીજો જુવાન પ્રવેશે ઈન્ટર-વ્યૂ માટે. આ જુવાન આવીને નમસ્તે કરી ભારતીપોતાની અટક બતાવે છે. તે કહે છે કે, હું જન્મથી મને મળેલી જ્ઞાતિ, અટક બધું છોડી ચૂક્યો છું. હું ભારત દેશનો છું અને એથી ભરતી છું વ્યોમેશ ભરતી.’[પૃ.187]
            કિશોરકાન્ત વ્યોમેશ ભારતીના ઉચ્ચારણથી લઈ સ્વામી વિવેકાનંદના જીવન અને વ્યોમેશને કોઈ વ્યસન હોય તો તે વિશેની વાતો થાય છે. વિવેકાનંદ કોણ હતા? તે પ્રશ્નના જવાબમાં વ્યોમેશ કહે છે કે, તેણે સ્વામી વિવેકાનંદના જન્મ સ્થાન કલકત્તાથી માંડી બેલૂર મઠ સુધીની યાત્રા કરી છે. કિશોરકાન્તના વ્યસન અંગેના જવાબમાં વ્યોમેશ કહે છે કે, ‘...વ્યસન મને પોષાય એમ નથી એટલે કે હું મારા શરીરને કોઈકે આપેલું વસ્ત્ર ગણું છું એને હું મેલું ન કરી શકું જર્જરિત ન કરી શકું...’[પૃ.189] આગળ તે કહે છે કે મને વ્યસન છે, પ્રકૃતિ, પુસ્તક અને પરમાત્માનું. કિશોરકાન્ત દિવ્યેશની આ વાતો સાંભળી પ્રભાવિત થઈ વિવેકાનંદના રોલ માટે તેને ફાઈનલ કરે છે. આગળની બેઠકની ચર્ચા કરી છૂટા પડે ત્યાં દ્રશ્ય બદલાય.
હવેનું દ્રશ્ય શરૂ થતા વ્યોમેશ વિવેકાનંદ નાટકની સ્ક્રિપ્ટના પાના ઉથલાવી રહ્યો છે. હવે વાચકને અનુભવ થાય કે આ દિવ્યેશ જ છે. દિવ્યેશ પોતાની જાત સાથે વાત કરતા કહે છે, તું એક્ટર તો ખરો જ . ચમરબંધ ગણાતા કિશોરકાન્ત દેસાઈને તું નથી તે દેખાડી ચકિત કરી નાંખ્યા... બાકી, તું સાલા અઢારે જગબહારો ગુજરાત મશહૂર ભારાડી માણસને પાપી પેટને ખાતર તું વિવેકાનંદનો રોલ મેળવવા વિવેકાનંદનો વેશ ભજવીશ?’[પૃ.189-190]
            આમ, નાસ્તિક, વ્યસની દિવ્યેશ સ્વામી વિવેકાનંદનો રોલ મેળવે છે; પણ, આ બધી બાબતમાં એક જ બાબત સ્વામી વિવેકાનંદ જેવી જણાય છે તે તેનું શરીર સૌષ્ઠવ, હાઈટ, મોં - બોલવાની છટા; તેથી જ તો દિવ્યેશ કલ્પના કરે છે, ભગવા કપડો પ્હેરીશ ને મેઈકઅપ કરાવીશ તો તું અદલ આવો લાગશે – (વિવેકાનંદનો ફોટો બતાવીને)... એટલે મારું વાચિક, મારું આંગિક વિવેકાનંદ જેવું છે તો આહાર્યથી હું વિવેકાનંદ તરીકે ખપી જઈશ પ્રેક્ષકો મને વિવેકાનંદ તરીકે સ્વીકારી લેશે.’[પૃ.190-191]
            હવે આ નાટકમાં શરૂ થાય છે આંતરદ્વંદ્વ... અધ્યાપક ભટ્ટ સાહેબનો અવાજ, બધા વ્યસનથી છૂટ્યા વગર તું અંદરથી વિવેકાનંદ નહીં થઈ શકે, મિત્ર.[પૃ.191] આ સાંભળ્યા પછી દિવ્યેશ નાનપણમાં તેના ગામમાં જોયેલી ‘રામલીલાની વાત વાગોળતા કહે છે કે, સીતા થતાં પુરુષ નટને વિગમાં બીડી પીતા જોયો છે પણ, એ પછી તે સીતા થઈ સ્ટેજ પર જાય પછી આખે આખો બદલાઈ જતો[પૃ.191] ત્યારબાદ નટ ખૂબ જ ભાવપૂર્વક સીતાના વેશમાં ગીત પણ ગાતો હોય. ભટ્ટ સાહેબ દિવ્યેશના શિક્ષક છે. તે એક સવાલ પૂછી બેસે છે કે,
પેલા બીડી પીધા પછી સીતાના
રોલ કરતા નટને સાચો લેખું
કે સાત્વિક અભિનયનો આગ્રહ
રાખતા આપને ? બોલોને સર,
હું શું કરું ?
હું હેમ્લેટ જેમ મુંઝાઇ ગયો છું
હું વિવેકાનંદ થઉં કે ના થઉં ?
To be or not to be ?’[પૃ.192]

આ મનોદ્વંદ્વ વચ્ચે કિશોરકાન્ત દેસાઈ પ્રવેશે છે. ત્યાં જ કિશોરકાન્તના માટે બનેલો વ્યોમેશ તેને કહે છે કે, હું વિવેકાનંદનો રોલ કરવાને યોગ્ય નથી વ્યસનને લીધે... અને પછી કિશોરકાન્ત પ્રશ્ન પૂછે છે કે, ‘તને આટલું મનોમંથન આ રોલે કરાવ્યું એ ઓછું નથી!’ રિહર્સલ માટે બોલાવે છે અને વ્યોમેશ ભરતી આ રોલ સફળ રીતે કરશેએમ કહી નીકળી જાય છે.
            હવે દ્રશ્ય-૩ શરૂ થાય છે વ્યોમેશના મનમાં જાગૃત વિવેકાનંદનો રોલ... ત્યાં વિવેકાનંદને દર્શાવવા સારું ઊઠો, જાગો ધ્યેય સિદ્ધ ના થાય ત્યાં લગ નિંદ્રા ત્યાગોઊઠો, જાગો અને વ્યોમેશ જાગીને વિવેકાનંદની સ્ક્રિપ્ટ વાંચે છે અને હાર્મોનિયમની પેટી કાઢી તરજ બાંધે છે.  પછી તેની મા આવી સૂઈ જવાનું કહી લાઈટ સ્વીચ ઓફ કરી અંધારું કરે ત્યાં દ્રશ્ય પૂરું થાય.
            પછીના દ્રશ્યમાં વિવેકાનંદનો ફોટો વ્યોમેશના હાથમાં છે અને નરેન્દ્રનાથ દત્ત’ (સ્વામી વિવેકાનંદ) જન્મથી લઈ તેમના જીવનની સાધુ થતા પહેલાના ઘટનાક્રમમાં પ્રવેશે છે. ક્યાંય વિવેકાનંદની સ્ક્રિપ્ટ વ્યોમેશ પર હાવી થઈ જાય તો ક્યાં વ્યોમેશ વિવેકાનંદના વ્યક્તિ સાથે પોતાના જીવનના સંસ્મરણો તાજા કરતો જાય. નરેન્દ્ર નાનો હતો ત્યારથી જ શ્રદ્ધાવાળોને વ્યોમેશ અંધશ્રદ્ધાળુ. સ્ક્રિપ્ટ અને સંસ્મરણો વચ્ચે ગોથા ખાતું નાટક એક સાથે બે દ્રશ્ય સમાંતરે ચાલતા હોવાનો વાચકને અહેસાસ થાય. આ દ્રશ્યમાં વ્યોમેશની સ્ક્રિપ્ટ આગળ વધતા પાછળ નેપથ્યમાંથી દિશાસૂચક અવાજ આવતા રહે, સંવાદ ચાલતો રહે, વ્યોમેશને અભિનય પ્રયુક્તિઓ શીખવાડતા ડિરેક્ટર આકાશભાષિત જેમ બોલતા દ્રશ્ય પૂરું થાય ત્યારે આ અવાજની વ્યોમેશને જાણ થાય. ડિરેક્ટર વ્યોમેશના અભિનયની કસોટી કરે છે. વ્યોમેશ-ડિરેક્ટર અને સ્ક્રિપ્ટનો નરેન્દ્ર ત્રણેય સંવાદો વચ્ચે વિવેકાનંદના જીવન પ્રસંગો ઉઘડતા જાય અને નાટક આગળ વધતું રહે. રામકૃષ્ણ પરમહંસ સાથેની નરેન્દ્રની મુલાકાતથી પરમહંસ ધ્યાનસ્થ થાય ત્યાં સુધીના પ્રસંગનું નિરૂપણ કરી નાટકનો પ્રથમ અંક સમાપ્ત થાય.
            બીજા અંકમાં પરમહંસ નરેન્દ્રને ગુરુ બની શિક્ષાની દીક્ષા આપે, માના સાનિધ્યમાં વિવેકનું ચયન કરવા બદલ પરમહંસ તરફથી વિવેકાનંદ નામ મળે અને નરેન્દ્રને પરમહંસ પોતાની સર્વસિદ્ધિઓ આપી વિદાય લે ને સંદેશો આપતા જાય, ‘જે ફરે છે, એ ચરે છે’ – આ અનુસંધાને મા શારદા નરેન્દ્રને કહે છે કે, ફરે તે ચરે...તું કાશ્મીરથી કન્યાકુમારી સુધી પરિભ્રમણ કરજ્ઞાન સંપાદન કર ને છે એ જ્ઞાનને વ્હેંચ [પૃ.204] અને પછી વિવેકાનંદની સંન્યાસીયાત્રા શરૂ થાય. ત્યારબાદ સાધક વિવેકાનંદના જીવનમાં બનતી ઘટનાઓ ભજવાય. આજ જીવન ઝાંખીઓમાં વિવેકાનંદને અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વધર્મનું સંમેલનમાં જવાનું નિમંત્રણ મળે અને એ વિચાર સાથે વિવેકાનંદ કન્યાકુમારી જઈ સાગરની વચ્ચેના ખડક પર ધ્યાનસ્થ થવા જાય, ત્યાં દ્રશ્ય પૂરું થાય અને પછી ખડકની શીલા પર ધ્યાનસ્થ બેઠેલા વિવેકાનંદ ધીમે ધીમે આંખો ખોલે અને જાણે કોઈ દિશાસૂચન કરી રહ્યું હોય એમ કહે,
ચાલ, મનવા ચાલ
સાધુ તો ચલતા ભલા
એને દેશ શું ? પરદેશ શું[પૃ.210]
આ દ્રશ્ય આ વિચાર સાથે પૂરું થાય અને બીજું દ્રશ્ય શરૂ થાય ત્યાં તો પાર્શ્વમાંથી ગીત સંભળાય અને 31 મે, 1893ના રોજ વિવેકાનંદ વિશ્વધર્મ સંમેલનમાં ભાગ લેવા શિકાગો પહોંચે. પછી વિવેકાનંદના દેખાવ અંગેનો પ્રસંગ થઇ દ્રશ્ય પૂરું થાય. ત્યારબાદ 11 સપ્ટેમ્બર, 1893ના વિવેકાનંદ પ્રવચન વિશેનો પ્રસંગ ભજવાય. પછી ડિરેક્ટર વ્યોમેશના બીજા પ્રવાસો વિષે અવગત કરે અને નડિયાદમાં હરિદાસ વિવેકાનંદને મણિલાલના ઘરે લઈ આવે. ત્યાં હરિદાસ વડે સાંભળેલી મણિભાઈની વિગતો અંગે વિવેકાનંદ અહોભાવ વ્યક્ત કરે, તે દ્રશ્ય પૂરું થાય. દ્રશ્ય પૂરું થતા પાર્શ્વમાં ગઝલ સંભળાય છે.
ક્યહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે
ખફા, ખંજર સનમમાં રહમ ઊંડી લપાઈ છે.
ફના કરવું, ફના થવું, ફનામાં સેહ સમાઈ છે
મરીને જીવવાનો મંત્ર દિલબરની દુહાઈ છે.’ [પૃ.213]
આમ, મરીને જીવવાનો મંત્ર આપનાર મણિલાલને અંજલિ આપી નાટ્યકાર ડિરેક્ટરના સ્થાનેથી હવે વિવેકાનંદના ટૂંકા આયુષ્યના અંત તરફ ગતિ કરે.
છેલ્લું દ્રશ્ય ઈ..1904 બેલૂર મઠનું ગોઠવાય. નિવેદિતા તેમની સાથે છે, તે સંવાદમાં સાધવી નિવેદિતાના જીવનનો પણ આછોપાતળો પરિચય મળે અને સ્વામી વિવેકાનંદ માયા છોડી, જગત છોડી ચાલ્યા જાય અને નાટકના અંતે પાર્શ્વમાંથી સ્વામીનો પડઘો સંભળાય ને સંબોધે :
મારા મિત્રો, તમારા એક સગાભાઈ તરીકે
જીવન અને મૃત્યુમાં
તમારા સાથી તરીકે
હું તમને કહેવા માંગું છું
કે
આપણે જોઈએ છે
સામર્થ્ય, સામર્થ્ય
અને હર સમયે સામર્થ્ય [પૃ.214]
અને અંતે તમસો મા જ્યોતિર્ગમયના શ્લોકથી નાટક પૂર્ણ થાય.
        આખા નાટકમાંથી વાચક અને ભાવક તરીકે પસાર થતા અનુભવાય છે કે નાટકનું કથાવસ્તુ સરળ નથી. નાટકના પરિપેક્ષ્યને રંગભૂમિ પર ભજવવું અઘરું છે. આ નાટકમાં ઘણા દ્રશ્યો બદલાય છે. નાટકને વાંચતા ઘણા પ્રશ્નો વાચકના મનમાં ગડમથલ જન્માવે એવા છે; પરંતુ, આજ વસ્તુ રંગભૂમિમાં જો ભજવાઈ તો એ પ્રશ્નો રહેતા જ નથી. જેમકે, ઈન્ટરવ્યૂ સમયે દિવ્યેશ અને વ્યોમેશ એક જ વ્યકિત છે, કે પાછળ ભટ્ટ સાહેબનો ફોટો બોલતો હોય તે વાચકને ખૂબ પાછળથી જાણ થાય; પરંતુ, નાટક જોનાર પ્રેક્ષકને તરત જ ખબર પડી જાય. આજ રીતે વ્યોમેશથી વિવેકાનંદ અને વિવેકાનંદથી વ્યોમેશના અભિનયની અદલાબદલી વાચકનું ધ્યાનભંગ કરતા જણાય છે, જ્યારે અભિનય કરતા નટની અભિનય ક્ષમતાને પ્રેક્ષક તરત જ પામી શકે છે.
        નાટકનું કથાવસ્તુ સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વને ઉજાગર કરવાનું તો છે જ સાથે સાથે આજના યુગના પરિપેક્ષ્યમાં અભિનયકળાની પ્રયુક્તિ, ફ્લેસબેક, નેપથ્યમાંથી આવતો અવાજ, સંગીત તથા રંગભૂમિમાં થતા ગીતોનો ઉપયોગ નાટ્યકારે ખૂબ જ કુશળતાથી આ નાટકમાં વણી લીધો છે. આ સમગ્ર નાટ્યપ્રયુક્તિઓ આ નાટકમાં એવો અનુભવ જરૂર કરાવે કે આ નાટ્યકારનું પ્રયોગાત્મક નાટક છે. નાટકમાં પાત્રો ખૂબ ઓછા છે છતાં પણ નાટકની જરૂરિયાત પ્રમાણેના દ્રશ્યો ઘણા બદલાય છે. જૂની રંગભૂમિમાં જ્યાં સેટ અપ ઊભું કરવાનું હોય ત્યાં આ નાટક ખર્ચાળ સાબિત થાય; પરંતુ, આધુનિક ટેકનજીના ઉપયોગથી પાછળ સ્ટેજના બેકગ્રાઉન્ડમાં ૩D પ્રોજેક્ટર દ્વારા દ્રશ્ય બદલાય તો નાટક ભજવવામાં તથા નાટકના આયોજનમાં સરળતા થઈ શકે. મંચ/ગૂંથણીમાં કે મંચસજ્જામાં કોમ્પ્યૂટરાઈઝ ટેકનજીનો ઉપયોગ વધુ પ્રભાવક રીતે નાટકને પ્રેક્ષક સામે રજૂ કરવામાં ઉપયોગી થઈ શકે તેમ છે.
        આ નાટકનું સૌથી પડકારજનક પાસું હોય તો એ નટ દ્વારા કરાતો અભિનય. અહીં જીવતા જાગતા પાત્રો ઘણા ઓછા છે. કિશોરકાંત, ડિરેક્ટરનું પાત્ર, વિવેકાનંદનું પાત્ર ભજવતા દિવ્યેશ શેલત કે જે વ્યોમેશ ભારતી પણ છે તેને ઉપસાવવા માટે પૂરક તો પાત્રો જ બને છે. આ ઉપરાંત રંગભૂમિ પર કાર્ય કરતા નટોનું વાસ્તવિક અને રંગમંચના વ્યક્તિત્વમાં જોવા મળતા વિરોધાભાસને પણ એક વૈચારિક પ્રશ્નરૂપે નાટ્યકાર દ્વારા મૂકવામાં આવ્યો છે તથા દિવ્યેશના વ્યક્તિમાંથી વ્યોમેશ ભારતીના વ્યક્તિત્વનો વિરોધાભાસ અને તે પછી રંગમંચના વિવેકાનંદનું વ્યક્તિત્વ વચ્ચેનો નટનો વૈચારિક સંઘર્ષ નાટકના કેન્દ્રમાં છે. રામલીલામાં સીતાનું પાત્ર ભજવતો નટ રંગભૂમિ પર સીતાના વ્યક્તિત્વને પ્રદર્શિત કરતો અભિનય કરતો હોય અને એ જ નટ જાહેર-વાસ્તવિક જીવનમાં બીડી પીતો હોય. અહીં સત્ય શું? ખરેખર અભિનય ક્ષમતા પાત્રના વ્યક્તિત્વમાં રહેલા પાસાંઓને અસર કરે? કે પછી અભિનયક્ષમતા મનોદ્વંદ્વનું કારણ હોઈ શકે ?
        આ નાટકમાં ડિરેક્ટરની ભૂમિકા અને નાટકને પ્રેક્ષકો સમક્ષ મૂકતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વગેરેની આયોજનરીતિને પણ વાચક સમક્ષ મૂકી આપી છે. અભિનયક્ષમતા ધરાવતા નટને નાટકના પાત્રના વ્યક્તિત્વ અનુરૂપ તરાસીને અભિનયના નવા આયામને સિદ્ધ કરવાની કળા પણ નાટકના નેપથ્યનો ભાગ છે, જેનો પરિચય આ નાટક કરાવે છે.
        આમ, આખું નાટક નાટ્યકારની લેખનક્ષમતા અને પ્રયોગશીલતાના આયામોને વાચક સમક્ષ કે ભાવક સમક્ષ ખોલી આપે છે, સાથે જ ભારતની એક મહાન વિભૂતિની જીવનયાત્રાની ઝંખીઓને પ્રદર્શિત પણ કરે છે. આ ઉપરાંત આ નાટકમાં રંગભૂમિના વિવેકાનંદના પાત્ર અને વાસ્તવિક જીવનના દિવ્યેશ બંને વચ્ચેના સંઘર્ષને નાટ્યપ્રયુક્તિની તરેહ દ્વારા પ્રદર્શિત કરવામાં વાચક ગૂંચવાડે ચડે એવું પણ ક્યાંક કયાંક બનતું જણાય છે. છતાં, આ પ્રયોગશીલ નાટક નવા નાટ્યલેખકો અને ઉગતા દિગ્દર્શકો માટે પાઠશાળા સમાન તો છે જ. 
ડૉ. હેતલ કિરીટકુમાર ગાંધી